લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર હવામાનની મોટી આગાહી - khabarilallive
     

લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર હવામાનની મોટી આગાહી

રાજ્યના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ સાથે ભારે પવન ફૂંકાવાના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.

વાતાવરણમાં આવેલા બદલાવને પગલે વહેલા વરસાદની આશંકા હતી. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની સંભાવના રહેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલ રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતાઓ લાગી રહી હતી. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.

જેમાં આગામી બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે દિવસ દરમિયાન પણ સુરત અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા. ત્યારે કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદની આગાહીના પગલે થોડી રાહત મળી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાને ઘડીઓ ગણાઇ રહી છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 29.3 ડિગ્રી નોંધાયું હતું.

દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ 65 ટકા થઇ જતાં લોકો બફારાથી ત્રસ્ત થયા હતા. મોડી સાંજે અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. અમદાવાદમાં આગામી પાંચ દિવસ 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *