કોમેડિયનની તબિયતમાં સુધારો કરવા વારંવાર ડોકટરો કરી રહ્યા છે અમિતાભ બચ્ચન જોડે આ વાત
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્હીની AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં એડમિટ છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમની હાર્ટની ઘણી નળીઓમાં 100 % બ્લોકેજ છે.
ચાહકો અને પરિવારની પ્રાર્થના વચ્ચે રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સાધારણ સુધારો આવ્યો હતો રાજુને ફૂડ પાઇપના માધ્યમથી થોડું દૂધ આપવામાં આવે છે. રાજુનું હાર્ટ અને પલ્સ વ્યવસ્થિત કામ કરે છે, પરંતુ હજી પણ તે ભાનમાં આવ્યા નથી. આ દરમિયાન રાજુને અમિતાભ બચ્ચનના ઑડિયો મેસેજ સંભળાવવામાં આવી રહ્યા છે.
વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવે તેવી શક્યતા
રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી વેન્ટિલેટર સપોર્ટ પર છે. રાજુના ભાઈ સીપી શ્રીવાસ્તવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે એટલે કે 14 ઓગસ્ટે વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવી શકે છે. રિકવરી ઝડપથી થઈ રહી છે.
તમામ ઓર્ગન વ્યવસ્થિત રીતે કામ કરે છે. ઓક્સિજન હવે માત્ર 20%ની આસપાસ આપવામાં આવે છે. બ્લડ પ્રેશર સામાન્ય છે, પરંતુ હજી સુધી બ્રેનમાં કોઈ મૂવમેન્ટ નથી. ન્યૂરોલૉજિસ્ટના મતે, બ્રેન રિસ્પોન્સ કરવામાં હજી પણ થોડો સમય લાગી શકે છે.
રાજુની તબિયતમાં થોડો સુધારો થયો
નોંધનીય છે કે આ પહેલાં કોમેડિયનના ભત્રીજા કુશલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. ડૉક્ટર્સે પણ કહ્યું હતું કે તેમણે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. રિપોર્ટ્સમાં કોઈ નેગેટિવ સાઇન જોવા મળી નથી. રાજુ શ્રીવાસ્તવ પોતાના હાથ અને આંગળીઓને મૂવ કરે છે. તે ફાઇટર છે અને બીમારી સામે લડીને પાછા આવશે.
ડૉક્ટરે શું કહ્યું?
હોસ્પિટલના ડૉક્ટરે પરિવારને કહ્યું હતું કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તે આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તે સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.
પરિવારને તરત જ ખ્યાલ આવ્યો કે રાજુ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનને આદર્શ માને છે અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને રાજુની તબિયત અંગે માહિતી આપી હતી. બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય.
પાંચ જ મિનિટમાં અમિતાભે ઑડિયો મોકલ્યો. અમિતાભ બચ્ચનને ડૉક્ટરે જે વાત કહી હતી, તે પણ કહેવામાં આવી હતી. ત્યારબાદ પાંચ મિનિટની અંદર બિગ બીએ એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો.
ઑડિયોમાં શું છે?
બિગ બીએ કહ્યું હતું, ‘રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલ્દીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.’ પરિવાર આ મેસેજ વચ્ચે વચ્ચે રાજુને સંભળાવે છે.
ઑડિયો મેસેજથી તબિયતમાં સુધાર આવ્યો
રાજુ શ્રીવાસ્તવના પ્રવક્તાએ કહ્યું હતું કે બિગ બીના ઑડિયો મેસેજથી બૉડીમાં મૂવમેન્ટ વધી છે. જોકે, બ્રેન રિસ્પોન્સ નથી કરતું તે ચિંતાની વાત છે.
મોતના ખોટા સમાચાર વહેતા થયા હતા
રાજુ શ્રીવાસ્તવના મોતના ખોટા સમાચાર વહેતા થયા હતા. ત્યારબાદ પરિવારે અપીલ કરી હતી કે રાજુ અંગેની કોઈ અફવા પર ધ્યાન ના આપવું. તેમની તબિયત સ્થિર છે. કોમેડિયન રાજીવ નિગમ, એક્ટર શેખર સુમન તથા મિત્ર શ્યામ શુક્લાએ પણ ચાહકોને અફવા પર ધ્યાન ના આપવાની અપીલ કરી હતી.